"નમામિ દેવી નર્મદે..." ના ગગનભેદી નાદ સાથે આજે નર્મદા કિનારો ભક્તિમય બની ગયો હતો. ભારતની એકમાત્ર નદી જેની પરિક્રમાનું અનેરું મહાત્મ્ય છે, તેવા નર્મદા મૈયાની આજે જન્મજયંતી નિમિત્તે નર્મદા જિલ્લાના માંગરોળ ગામે અનોખી ભક્તિના દર્શન થયા હતા. અહીં ગ્રામજનોએ એકસાથે મળીને માતાજીને 1500 ફૂટ લાંબી સાડી અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.
આસ્થા સામે કુદરતી આફત પણ ન ડગાવી શકી શ્રદ્ધા
નોંધનીય છે કે, માત્ર બે વર્ષ પહેલા જ માંગરોળ ગામે નર્મદાના વિનાશક પૂરનો સામનો કર્યો હતો. આખું ગામ જળબંબાકાર થયું હતું અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. સામાન્ય રીતે પૂરથી નુકસાન થયા બાદ લોકોમાં ડર હોય છે, પરંતુ માંગરોળના લોકોમાં મા નર્મદા પ્રત્યેની આસ્થા આજે પણ અડગ છે. પૂરના ઘા ભૂલીને ગ્રામજનોએ ભવ્ય શોભાયાત્રા કાઢી હતી અને મહાપૂજાનું આયોજન કર્યું હતું.













