નવસારી શહેરમાં આજે પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈન તૂટવાની ઘટના સામે આવતા તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે. શહેરની ટેક્નિકલ સ્કૂલ નજીક આવેલી પાણીની લાઈનમાં અચાનક ભંગાણ સર્જાયું હતું. આ દુર્ઘટનાને કારણે જોતજોતામાં હજારો લિટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહેવા લાગ્યું હતું. પીવાના પાણીની આટલી મોટી માત્રામાં બગાડ થતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.


ડ્રેનેજ લાઈનનું સમારકામ દરમિયાન દુર્ઘટના ઘટી

આ ઘટના પાછળનું મુખ્ય કારણ ડ્રેનેજ લાઈનનું સમારકામ હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ ટેક્નિકલ સ્કૂલ પાસે જ્યારે ડ્રેનેજ લાઈનનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું, ત્યારે અજાણતા જેસીબી અથવા અન્ય મશીનરી વાગવાથી બાજુમાંથી પસાર થતી પીવાના પાણીની લાઈન તૂટી પડી હતી. આ ટેકનિકલ ખામી સર્જાતા જ પાણીનો ફુવારો ઉડ્યો હતો અને જોતજોતામાં આસપાસના રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા હતા.

હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વહી ગયું

પાણીની લાઈન તૂટવાને કારણે માત્ર પાણીનો વ્યય જ નથી થયો, પરંતુ આગામી સમયમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી કાપની સમસ્યા પણ સર્જાઈ શકે છે. હજારો લિટર પાણી રસ્તા પર વહી જવાથી વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ માંગ કરી છે કે નગરપાલિકાના સત્તાધીશો તાત્કાલિક ધોરણે આ લાઈનનું સમારકામ કરાવે જેથી વધુ પાણીનો બગાડ અટકાવી શકાય અને લોકોને હાલાકી ન ભોગવવી પડે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: