નવસારી શહેરમાં આજે પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈન તૂટવાની ઘટના સામે આવતા તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે. શહેરની ટેક્નિકલ સ્કૂલ નજીક આવેલી પાણીની લાઈનમાં અચાનક ભંગાણ સર્જાયું હતું. આ દુર્ઘટનાને કારણે જોતજોતામાં હજારો લિટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહેવા લાગ્યું હતું. પીવાના પાણીની આટલી મોટી માત્રામાં બગાડ થતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.
ડ્રેનેજ લાઈનનું સમારકામ દરમિયાન દુર્ઘટના ઘટી
આ ઘટના પાછળનું મુખ્ય કારણ ડ્રેનેજ લાઈનનું સમારકામ હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ ટેક્નિકલ સ્કૂલ પાસે જ્યારે ડ્રેનેજ લાઈનનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું, ત્યારે અજાણતા જેસીબી અથવા અન્ય મશીનરી વાગવાથી બાજુમાંથી પસાર થતી પીવાના પાણીની લાઈન તૂટી પડી હતી. આ ટેકનિકલ ખામી સર્જાતા જ પાણીનો ફુવારો ઉડ્યો હતો અને જોતજોતામાં આસપાસના રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા હતા.













