બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આજે ઐતિહાસિક માનસરોવરના લોકાર્પણ પ્રસંગે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માનસરોવરનું કામ હજુ અધૂરું હોવા છતાં તેનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે વિરોધ કરવા પહોંચેલા વિપક્ષી કોર્પોરેટરોની પોલીસે લોકાર્પણ સ્થળે પહોંચે તે પહેલાં જ અટકાયત કરી લેતા વિવાદ વકર્યો છે.
તકતીમાં નામ છતાં વિરોધ પક્ષના નેતાઓને પ્રવેશબંધી
આશ્ચર્યની વાત એ છે કે, માનસરોવરના લોકાર્પણ માટે જે તકતી (શિલાલેખ) તૈયાર કરવામાં આવી છે, તેમાં વિપક્ષી નગરસેવકોના નામ પણ અંકિત છે. આમ છતાં, જ્યારે આ નગરસેવકો કાર્યક્રમ સ્થળે પહોંચ્યા ત્યારે પોલીસે તેમને અટકાવી દીધા હતા. વિરોધ પક્ષનો આક્ષેપ છે કે, શાસક પક્ષ માત્ર વાહવાહી લૂંટવા માટે અધૂરા કામોનું ઉતાવળિયું લોકાર્પણ કરી રહ્યો છે.













