ગાંધીભૂમિ પોરબંદરમાં 'રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026' ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે પોરબંદર શહેરની જાણીતી ચોપાટી વિસ્તારમાં ટ્રાફિક શાખા દ્વારા એક વિશેષ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસન સ્થળ હોવાથી મોટી સંખ્યામાં ઉમટી પડતા સહેલાણીઓ અને વાહનચાલકોને ટ્રાફિક નિયમોના પાલન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નિયમોનું પાલન એ જ સુરક્ષા
પોરબંદર ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ચોપાટી પર આવતા વાહનચાલકોને અટકાવીને હેલ્મેટની અનિવાર્યતા, સીટ બેલ્ટનો ઉપયોગ અને ચાલુ વાહને મોબાઈલ ફોન પર વાત કરવાથી થતા જોખમો વિશે સમજાવવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, માર્ગ સલામતી એ માત્ર દંડથી બચવા માટે નથી, પરંતુ પોતાના અને પરિવારના જીવનની સુરક્ષા માટે છે.













