રાજકોટમાં વર્ષ 2024માં બનેલી માનવતાને શર્મસાર કરતી ‘અંધાપાકાંડ’ની ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે અત્યંત મહત્વનો અને કડક આદેશ આપ્યો છે. મફત નિદાન કેમ્પના નામે અનેક લોકોની આંખોની રોશની છીનવી લેનાર જવાબદારો સામે હવે કાયદાનો ગાળિયો વધુ મજબૂત બન્યો છે.


હાઈકોર્ટનો મહત્વનો આદેશ

આ કેસની ગંભીરતાને જોતા હાઈકોર્ટે રાજકોટ રૂરલ એસપીને સીધો હુકમ કર્યો છે કે આ સમગ્ર મામલે કોઈ પણ પૂર્વગ્રહ રાખ્યા વિના નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. કોર્ટે તપાસ પૂર્ણ કરવા માટે 8 સપ્તાહનો (બે મહિનાનો) સમયગાળો નિશ્ચિત કર્યો છે. એડવોકેટ મારફતે પીડિતોએ ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જેની સુનાવણી દરમિયાન કોર્ટે માનવ જિંદગી સાથે થયેલા ચેડાંને ખૂબ જ ગંભીર ગણાવ્યા હતા.

ઘોર બેદરકારીને કારણે લોકોએ ગુમાવી હતી આંખોની રોશની

વર્ષ 2024માં રાજકોટમાં એક મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોપ છે કે તબીબો અને કેમ્પના સંચાલકોની ઘોર બેદરકારીને કારણે અનેક નિર્દોષ દર્દીઓએ પોતાની આંખોની રોશની ગુમાવી દીધી હતી. સેવાની આડમાં થયેલી આ બેદરકારીએ અનેક પરિવારોને અંધકારમાં ધકેલી દીધા હતા.

સંચાલકો સામે તપાસનો ધમધમાટ તેજ

કોર્ટના આ આદેશ બાદ હવે જવાબદાર તબીબો અને હોસ્પિટલના સંચાલકો સામે તપાસનો ધમધમાટ તેજ થશે. નિષ્પક્ષ તપાસમાં જો કોઈની પણ ક્ષતિ સાબિત થશે, તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પીડિત પરિવારોમાં આ આદેશ બાદ ન્યાયની આશા જાગી છે.

આ પણ વાંચોઃ Rajkot: Rajkot: યુવતીએ પ્રેમ ઠુકરાવ્યો તો પ્રેમીએ કર્યું પ્રેમિકાના પરિવારનું અપહરણ,પોલીસે મિનિટોમાં ઝડપી પાડ્યો



  • Follow us on: