રાજકોટ એઇમ્સ (AIIMS) ના MBBS ના વિદ્યાર્થી રતનકુમાર મેઘવાલના આપઘાત કેસે રાજ્યભરમાં ચકચાર જગાવી છે. આ મામલે તપાસ કરી રહેલા SC-ST સેલ દ્વારા હવે એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. પોલીસ દ્વારા રતનકુમારની મહિલા મિત્રનું નિવેદન નોંધવામાં આવ્યું છે, જે આ કેસના મૂળ સુધી પહોંચવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.


 મહિલા મિત્રના પરિવારને ફોન કર્યો હતો

તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, રતનકુમારે આત્મહત્યા કરતા પહેલા તેની આ મહિલા મિત્રના પરિવારને ફોન કર્યો હતો. આ ફોન કોલ દરમિયાન તેણે અન્ય વિદ્યાર્થીઓ બાબતે કેટલીક માહિતી આપી હોવાનું સામે આવ્યું છે.

માર મારવાના પુરાવાઓ નથી મળ્યા

 જોકે, પોલીસ તપાસમાં અત્યાર સુધી રતનકુમારને માર મારવામાં આવ્યો હોવાના કોઈ ટેકનિકલ કે ભૌતિક પુરાવા મળ્યા નથી. મહત્વની વાત એ છે કે રતનકુમારની સ્યુસાઇડ નોટ અને નોંધાયેલી FIR માં સાથી વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આત્મહત્યા પાછળના સાચા કારણો શોધવા મથામણ

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં જ રતનકુમારે આક્ષેપ કર્યો હતો કે સાથી વિદ્યાર્થીઓ તેને હેરાન કરે છે અને માર મારે છે. હાલમાં આ કેસમાં પકડાયેલા તમામ વિદ્યાર્થીઓ પોલીસ જાપ્તા હેઠળ પરીક્ષા આપી રહ્યા છે. પોલીસ હવે રતનકુમારના ફોન કોલ્સ અને મહિલા મિત્રના નિવેદનને આધારે આત્મહત્યા પાછળના સાચા કારણો શોધવા મથામણ કરી રહી છે.


આ પણ વાંચો---     Gandhinagar : પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, ડે.સીએમ હર્ષ સંઘવીની અફવા ફેલાવનારા સામે કડક ચેતવણી


  • Follow us on: