રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના કાંઠે ચાલી રહેલી ડિમોલિશનની કામગીરીમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. સરકારી જમીન પર માત્ર કબજો જ નહીં, પરંતુ ભૂમાફિયાઓએ ત્યાં પાકાં બાંધકામો કરી ભાડાનું આખું નેટવર્ક ઊભું કર્યું હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ભૂમાફિયાઓએ સરકારી જમીન પચાવી પાડીને ત્યાં 40 જેટલી ઓરડીઓ બનાવી દીધી હતી.
40 જેટલી ઓરડીઓ બનાવવામાં આવી હતી
આ ઓરડીઓ ગરીબ અને શ્રમિક પરિવારોને ભાડે આપવામાં આવતી હતી. દરેક ઓરડી દીઠ પ્રતિ માસ 3,000 રૂપિયા ભાડું વસૂલવામાં આવતું હતું. આ રીતે ભૂમાફિયાઓ દર મહિને લાખો રૂપિયાની કમાણી સરકારી જમીન પરથી કરી રહ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના જેસીબી મશીનોએ આ તમામ 40 ઓરડીઓ પર ફરી વળીને તેને જમીનદોસ્ત કરી દીધી છે.













