શિક્ષણનું ધામ ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર પોતાની ગંભીર બેદરકારીને કારણે વિવાદમાં આવી છે. પરીક્ષાના પ્રથમ દિવસે જ યુનિવર્સિટીના વહીવટી તંત્રનો મોટો છબરડો સામે આવ્યો છે. નવાઈની વાત એ છે કે, M.Ed. સેમેસ્ટર-2 અને 4 ની પરીક્ષાના પ્રારંભે જ યુનિવર્સિટી સત્તાધીશો પરીક્ષા કેન્દ્રો પર પેપર મોકલવાનું જ ભૂલી ગયા હતા, જેને કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


155 વિદ્યાર્થીઓને એક કલાક મોડું પેપર મળ્યું

આજે M.Ed. સેમેસ્ટર-2 ના વિદ્યાર્થીઓનું 'ટેક્નિકલ એજ્યુકેશન-2' વિષયનું પેપર હતું. પરીક્ષાના નિયત સમયે જ્યારે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે પેપર હજુ સુધી કેન્દ્ર પર પહોંચ્યું જ નથી. આ છબરડાને કારણે અંદાજે 155 જેટલા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાઈ ગયા હતા. અંધાધૂંધી સર્જાતા અંતે પરીક્ષાના નિર્ધારિત સમય કરતા એક કલાક મોડું પેપર આપવામાં આવ્યું હતું.

એક કલાકનો વધારાનો સમય આપ્યો

યુનિવર્સિટીની આ આળસુ નીતિને કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે, ભૂલ સ્વીકાર્યા બાદ સત્તાધીશોએ વિદ્યાર્થીઓને થયેલા સમયના નુકસાન બદલ અંતમાં એક કલાકનો વધારાનો સમય આપ્યો હતો. દર વખતે કોઈને કોઈ વિવાદમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ પ્રકારની લાપરવાહીથી વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને ભવિષ્ય પર સવાલો ઉઠી રહ્યા છે. પ્રથમ દિવસે જ થયેલા આ ધાંધિયાથી આગામી પેપરોમાં વ્યવસ્થા જળવાશે કે કેમ તે જોવું રહ્યું.


આ પણ વાંચો----    Local body election 2026 : હર્ષ સંઘવીના તેજાબી પ્રહાર, આજે દાદાનું બુલડોઝર ધંધુકા પહોંચ્યું છે, દરેક ચૌદશને સીધા કરી દીધા

  • Follow us on: