માર્ચ મહિનાના આરંભે જ સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો વિક્રમી સ્તરે પહોંચી જતા ૮ જિલ્લાના રહેવાસીઓ ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. એમાંય રાજકોટમાં તો રાજ્યભરમાં સૌથી વધુ ગરમી પડી રહી છે. ત્યારે શહેરનું જનજીવન બપોર દરમિયાન જાણે કે અસ્તવ્યસ્ત થઈ જાય છે. તા.૧૩ના રોજ દરિયાકાંઠાના દ્વારકા, જામનગર પોરબંદર, જુનાગઢ. અમરેલી, સોમનાથ, દીવ, ભાવનગર જિલ્લામાં ગરમ પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે.


રાજમાર્ગો સહિત બજારોમાં સૂનકાર છવાઈ ગયો

ગુરુવારના દિવસ માટે હવામાન વિભાગે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ, જ્યારે પોરબંદર, જૂનાગઢ. અમરેલી અને મોરબીમાં યલો એલર્ટ આપ્યું છે. રાજકોટમાં સતત ચોથા દિવસે ગરમી નજીવા ફરક સાથે યથાવત રહી હતી. રાજકોટ બુધવારે પણ રાજ્યનું સૌથી ગરમ શહેર બની રહ્યું હતું. ગરમીનો પારો ૪૨.૯ ડિગ્રીને આંબી જતા બપોરના સમયે શહેરના રાજમાર્ગો સહિત બજારોમાં સૂનકાર છવાઈ ગયો હતો.લૂ ફુંકાવાને કારણે શહેરીજનો ઘરમાં પુરાયા હતા.સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમીથી સળગ્યા હોય તેમ પારો ઉંચકાયો હતો.

સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયુ

મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં ૪૧.૫, કેશોદમાં ૪૦.૭, દીવમાં ૪૦.૭, ભુજમાં ૩૯.૪, પોરબંદર ૪૦.૨, વેરાવળમાં ૪૦.૬, મહુવામાં ૪૦.૪, અમરેલીમાં ४०.८, ભાવનગરમાં ૩૯.૪, -કંડલા એરપોર્ટમાં ૩૯, જુનાગઢમાં ૪૧, નલિયામાં ૩૬.૨. દ્વારકામાં ગઈ કાલ કરતા ૪ ડિગ્રી પારો ઉતરીને ૨૯.૮ થયો હતો. જ્યારે ઓખામાં ૩૦ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉનાળામાં યલો એલર્ટ સૂચવે છે કે, આગામી થોડાક દિવસોમાં તાપમાન સામાન્ય કરતા વધશે અને ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના છે. આ એવી સ્થિતિ છે જ્યાં સામાન્ય લોકોને ગરમીની અસર થવાની શક્યતા રહેલી હોય છે, ખાસ કરીન વયસ્કો, બાળકો અને બીમાર વ્યક્તિઓ માટે તે થોડું જોખમી બની શકે છે.

આ પણ વાંચોઃ Surat News: કોસાડ આવાસમાં કોથળામાંથી મળેલા મૃતદેહની ઓળખ થઈ, મોઢું અને ગળું દબાવીને હત્યા કરાઈ


  • Follow us on: