હીરા નગરી સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં એક હીરાના કારખાનામાં કામ દરમિયાન અચાનક સરણ ફાટતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં નવીન નામના રત્નકલાકારનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
સરણ ફાટતા રત્નકલાકાર નવીનનું મોત
ઘટનાને પગલે મૃતક નવીનના પરિવારજનો અને સાથી રત્નકલાકારો મોટી સંખ્યામાં સ્મિમેર હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. પરિવારનો આક્ષેપ છે કે કારખાના માલિક દ્વારા આ ઘટના અંગે કોઈ સ્પષ્ટ કે યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી, જેને કારણે સ્વજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શોકતુર પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી યોગ્ય ન્યાય અને આર્થિક વળતરની માંગ કરી છે.













