મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતની મુલાકાતે રહ્યા હતા. આ દરમિયાન તેમણે શહેરના સરગમ શોપિંગ સેન્ટર પાછળ આવેલા પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે દર્શન અને પૂજા-અર્ચના કરી રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. જોકે, મંદિરના પ્રાંગણમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે પોલીસ ભરતી પ્રક્રિયાને લઈને ચાલી રહેલા વિવાદ પર અત્યંત મહત્વનું નિવેદન આપ્યું હતું.


પોલીસ ભરતી મુદ્દે DyCM હર્ષ સંઘવીનું નિવેદન

પોલીસ ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોને નાપાસ જાહેર કરવાના ગંભીર આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે આ મામલાની ગંભીરતાને જોતા ભરતી પ્રક્રિયાની તમામ સંબંધિત ફાઈલો તાત્કાલિક ધોરણે તપાસ માટે મંગાવી લેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે જો ભરતીમાં કોઈ પણ સ્તરે ક્ષતિ કે અન્યાય થયો હશે, તો તેની ઊંડી તપાસ કરવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રીએ ન્યાય આપવાની ખાતરી આપી

"હું મંદિરના પ્રાંગણમાં ઉભો છું અને ખાતરી આપું છું કે કોઈ પણ પાત્ર ઉમેદવાર સાથે અન્યાય નહીં થાય," તેમ કહી તેમણે ઉમેદવારોને સાંત્વના આપી હતી. હર્ષ સંઘવીએ ઉમેર્યું કે સંપૂર્ણ વિગતો અને રિપોર્ટની ચકાસણી કર્યા બાદ સરકાર યોગ્ય પગલાં લેશે. મહાશિવરાત્રીના દિવસે તેમણે આપેલી આ ખાતરીથી પોલીસ ભરતીના પરીક્ષાર્થીઓમાં ન્યાયની આશા જાગી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: