સુરત શહેરના સચિન-નવસારી રોડ પર આવેલા ઉન સ્થિત માધવ પાર્ક પાસે આજે ભીષણ આગની ઘટના સામે આવી છે. રહેણાંક અને ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારની વચ્ચે ખુલ્લામાં પડેલા વેસ્ટેજ કચરામાં અચાનક આગ લાગતા આકાશમાં કાળા ડીબાંગ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ ફેલાવ્યો હતો.


કેમિકલ ગોડાઉન પર તોળાયું જોખમ

આગની આ ઘટના જ્યાં બની તેની બિલકુલ નજીક જ કેમિકલના ગોડાઉન આવેલા છે. જો આગ આ કેમિકલના જથ્થા સુધી પ્રસરી હોત તો સુરતમાં વધુ એક મોટી દુર્ઘટના સર્જાઈ હોત. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે તે કેમિકલ ગોડાઉનને લપેટમાં લેવા તૈયાર હતી, પરંતુ સદનસીબે પવનની દિશા અને સ્થાનિકોની સમયસૂચકતા કામ કરી ગઈ હતી.

તંત્રની નિષ્ક્રિયતા અને આરોપ

આશ્ચર્યની વાત એ છે કે, આટલી ભીષણ આગ લાગી હોવા છતાં ફાયર વિભાગ આ ઘટનાથી અજાણ હતું. આખરે સ્થાનિક લોકોએ જાતે જ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જાહેરમાં આ પ્રકારે કેમિકલ વેસ્ટેજ કે કચરો સળગાવવાથી વાતાવરણમાં ઝેરી વાયુઓ ફેલાઈ રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે, અહીં અવારનવાર વેસ્ટેજ સળગાવવામાં આવે છે, છતાં તંત્રના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. આ આગ કોણે લગાડી કે પછી કોઈએ જાણીજોઈને કચરો સળગાવ્યો તે તપાસનો વિષય છે. જો તંત્ર જાગશે નહીં તો ભવિષ્યમાં અહીં મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે.


આ પણ વાંચો - Surat News: પારલે પોઈન્ટમાં સ્કૂલ વાનમાં ભીષણ આગ, બાળકોનો આબાદ બચાવ


  • Follow us on: