સુરતના પોશ ગણાતા પારલે પોઈન્ટ વિસ્તારમાં આજે એક સ્કૂલ વાનમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે, આગ લાગી તે સમયે બાળકો વાનમાં સવાર ન હોવાથી એક મોટી દુર્ઘટના ટળી છે અને તમામ બાળકોનો આબાદ બચાવ થયો છે.
બાળકોને ઉતાર્યા બાદ બની ઘટના
ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરના પારલે પોઈન્ટ વિસ્તારમાં આવેલા અંબિકા નિકેતન મંદિર નજીક એક સ્કૂલ વાન બાળકોને શાળાએ ઉતારવા માટે આવી હતી. ડ્રાઈવરે તમામ બાળકોને સુરક્ષિત રીતે સ્કૂલ પાસે ઉતારી દીધા હતા અને ત્યારબાદ વાન પાર્ક કરી હતી. વાન પાર્ક કર્યાના ગણતરીની મિનિટોમાં જ એન્જિનના ભાગેથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આખી વાન આગની લપેટમાં આવી ગઈ હતી.













