સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે આવેલા જેટકો (GETCO) ના 66 કે.વી. સબ સ્ટેશનમાં લાગેલી આગ બાદ હવે વીજ સંકટ ઘેરાયું છે. આગની ઘટનાને પગલે સુરક્ષાના કારણોસર વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ લાંબો સમય વીતવા છતાં વીજ પુરવઠો નિયમિત ન થતા ઉદ્યોગપતિઓ અને સ્થાનિકોનો સંયમ ખૂટ્યો છે. આજે રોષે ભરાયેલા લોકોએ જેટકો ઓફિસ પર પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો.
ઉદ્યોગોને કરોડોનો ફટકો
માંગરોળ પંથકમાં વારંવાર થતી ટ્રીપીંગની સમસ્યા અને અનિયમિત વીજ પુરવઠાને કારણે અંદાજે 1400 જેટલી મિલો બંધ કરી દેવાની નોબત આવી છે. ઉદ્યોગપતિઓના જણાવ્યા અનુસાર, પાવર ફ્લકચ્યુએશન અને વારંવારના કાપને કારણે મશીનરીને નુકસાન થઈ રહ્યું છે, અને ઉત્પાદન ખોરવાતા રોજનું કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જ્યાં સુધી વીજ પુરવઠો પૂર્વવત અને સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી મિલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.













