સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશનનો મામલો હવે ભારે ગરમાયો છે. આ સમગ્ર ઓપરેશનમાં સુરત મહાનગરપાલિકાના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા હોવાના સવાલો ઉઠ્યા બાદ હવે તપાસનો દોર અત્યંત તેજ કરવામાં આવ્યો છે. અગાઉ ખુદ એસએમસી કમિશનર એમ. નાગરાજન આ મામલે સીધી તપાસ ચલાવી રહ્યા હતા, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે પાલિકાના જવાબદાર અધિકારીઓ કમિશનરને જ ડિમોલિશન અંગેનો સાચો રિપોર્ટ સોંપવામાં આનાકાની કરી રહ્યા હતા. અધિકારીઓની આ આડોડાઈને પગલે આખરે કમિશનરે એક કડક પગલું ભરીને ખાસ તપાસ સમિતિની જાહેરાત કરી છે.
હાઈપાવર તપાસ કમિટીની રચના
પાલિકા કમિશનર એમ. નાગરાજન દ્વારા એસએમસીના ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં એક હાઈપાવર તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં કુલ 6 સભ્યોની નિયુક્તિ કરાઈ છે. આ સમિતિ ડિમોલિશન દરમિયાન કયા નિયમો નેવે મૂકાયા અને કયા કર્મચારીઓની શું લિંક હતી તેની ઝીણવટભરી તપાસ કરશે.













