ગુજરાતના સમસ્ત આદિવાસી સમાજ, રાજયના આદિજાતિ વિભાગ, દિશા ફાઉન્ડેશન તથા અન્ય સંસ્થાઓના સહયોગથી અંબિકા તાલુકાના વસરાઈ ખાતે ચાર દિવસીય રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેર ભવ્ય સફળતા સાથે સંપન્ન થયો હતો.આ મેળાએ આદિવાસી વેપાર, ઉદ્યોગસાહસિકતા, સંસ્કૃતિ અને આર્થિક સશક્તિકરણને રાષ્ટ્રીય સ્તરે મજબૂત મંચ આપ્યો છે.સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાએ કહ્યું કે, ચાર દિવસમાં કુલ ૬.૯૩ લાખ મુલાકાતીઓએ મેળાની મુલાકાત લીધી હતી.
આવક મળતાં સ્થાનિક અર્થતંત્રને પણ ગતિ મળી
આ મેળામાં ૭૬ જેટલા ફૂડના સ્ટોલમાં આદિવાસી સન્નારીઓએ પરંપરાગત નીતનવી વાનગીઓ જેવી કે, ઢેકળા, રાગીના રોટલા, ઉબાડીયું, થેપલા, પનેલા, માલપુડા, મેથીના પુડા, ભડકું જેવી વાનગીઓના સ્ટોલ દ્વારા રૂ.૧ કરોડથી વધુનું વેચાણ થયું હતું. જ્યારે ટ્રેડ અને ફેર સ્ટોલ્સમાંથી રૂ.૪ કરોડથી વધુનું સીધું વેચાણ નોંધાયું હતું. સાથે જ રૂ.૧૫ કરોડથી વધુના નવા બિઝનેસ ઓર્ડર અને લીડ્સ જનરેટ થતા આદિવાસી ઉદ્યોગકારો માટે રાષ્ટ્રીય બજાર સાથે જોડાવાની નવી તકો ઊભી થઈ હતી. આદિવાસી મેળાના કારણે સ્થાનિક દુકાનો, વેન્ડર્સ, હોટેલ્સ, ટ્રાન્સપોર્ટ અને આસપાસના વિસ્તારોને રૂ.૫ કરોડથી વધુની પરોક્ષ આવક મળતાં સ્થાનિક અર્થતંત્રને પણ ગતિ મળી હતી.













