વસંત ગજેરાને ત્યાં ઈન્કમટેક્સ વિભાગની તપાસ તો પૂરી થઈ ગઈ છે. પરંતુ તેને ત્યાંથી કબજે કરવામાં આવેલા દસ્તાવેજની ઊલટતપાસ કરવામાં આવનાર છે. તેમાં તેની પાસેથી ઘર, દુકાન કે ઓફિસ ખરીદનારાઓએ પોતાની આવકના સ્ત્રોત બતાવવા માટે આગામી દિવસોમાં નોટિસ મોકલવામાં આવે તેવી પણ શક્યતા રહેલી છે, કારણ કે કબજે કરાયેલા દસ્તાવેજમાં કેટલીક ડાયરી પણ મળી આવી છે તેમાં ઘર, દુકાન અને ઓફિસનો સોદો કરાવનારાઓના નામ સહિતની વિગતો પણ કબજે કરવામાં આવી છે.
કેટલાક કર્મચારીઓના મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે
આઇટી અધિકારીઓએ કબજે કરેલા દસ્તાવેજી પુરાવાના આધારે હવે કરદાતાઓના રિટર્નની ચકાસણી કરશે. તેમાં કરદાતાએ જે પણ ખરીદી કરી છે તેની વિગતો આઈટી રિટર્નમાં દર્શાવી છે કે નહીં તે તપાસ કરવામાં આવશે. જો તે દર્શાવવામાં આવી નહીં હોય તો તેની વિગતો રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવશે. આ ઉપરાંત આઈટી અધિકારીઓએ જપ્ત કરેલા દસ્તાવેજમાં કેટલીક ડાયરીઓ પણ મળી આવી છે. તેમાં માર્કેટ પ્રમાણે દલાલના નામ અને સોદાની રકમ સહિતના પણ પુરાવા મળ્યા હોવાની વિગતો જાણવા મળી છે. જેથી દલાલોની સાથે સાથે ખરીદનારાઓ પણ હવે ભેરવાય તેમ છે. આ ઉપરાંત તપાસ દરમિયાન અધિકારીઓએ કર્મચારીઓના નિવેદન પણ એક પછી એક લીધા છે. સાથે સાથે કેટલાક કર્મચારીઓના મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે.













