સુરત જિલ્લામાં આવેલા દાગીના બનાવવાના એક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ગત 7 જૂનના રોજ સેપ્ટિક ટેન્ક સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ઝેરી ગેસના કારણે થયેલા મોતના મામલાને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એ અત્યંત ગંભીરતાથી લીધો છે. મીડિયા અહેવાલોના આધારે આયોગે આ સમગ્ર ઘટના અંગે 'સુઓ મોટો' સંજ્ઞાન લઈને ગુજરાત સરકારના મુખ્ય સચિવ ( અને સુરત પોલીસ કમિશનરને આકરી નોટિસ ફટકારી છે. આયોગે બંને ઉચ્ચ અધિકારીઓ પાસે આગામી બે સપ્તાહની અંદર આ મામલે વિગતવાર અહેવાલ સબમિટ કરવા કડક આદેશ આપ્યો છે.


 સુરક્ષાના સાધનો વિના આ શ્રમિકોને ટેન્કમાં ઉતર્યા હતા

અહેવાલો અનુસાર, જ્વેલરી ફેક્ટરીમાં દાગીના સાફ કરવાની પ્રક્રિયા દરમિયાન જે કેમિકલયુક્ત કચરો અને પ્રવાહી નીકળે છે તેને આ સેપ્ટિક ટેન્કમાં એકઠો કરવામાં આવતો હતો, જેના કારણે અંદર અત્યંત ઘાતક અને ઝેરી વાયુઓ જમા થયા હતા. 7 જૂનના રોજ કોઈપણ પ્રકારના સેફ્ટી પ્રોટોકોલ કે સુરક્ષાના સાધનો આપ્યા વિના જ આ શ્રમિકોને ટેન્ક સાફ કરવા માટે અંદર ઉતારી દેવાયા હતા. ટેન્કમાં પ્રવેશતાની સાથે જ ઝેરી ગેસ શ્વાસમાં જતાં ચારેય શ્રમિકો બેભાન થઈ ગયા હતા. રેસ્ક્યૂ ટીમ દ્વારા તેમને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

અત્યંત ગંભીર અને ચિંતાજનક કિસ્સો

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે અવલોકન કર્યું છે કે જો મીડિયા અહેવાલોની વિગતો સાચી હોય, તો આ ઘટના માનવ અધિકારોના સરેઆમ ઉલ્લંઘનનો એક અત્યંત ગંભીર અને ચિંતાજનક કિસ્સો છે.

2 સપ્તાહમાં રિપોર્ટ મંગાવાયો

આથી, NHRC દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે આગામી બે અઠવાડિયામાં સોંપવાના થતા રિપોર્ટમાં આ કેસની વર્તમાન પોલીસ તપાસની સ્થિતિ અને મૃતક શ્રમિકોના આશ્રિત પરિવારોને વળતર ચૂકવવામાં આવ્યું છે કે કેમ, તેની સંપૂર્ણ વિગતો સામેલ હોવી અનિવાર્ય છે. સુરતમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર શ્રમિકોની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કર્યા છે.


આ પણ વાંચો----     Gujarat Latest News Live : સુરતમાં ચાર કામદારોના મૃત્યુના કેસમાં NHRCએ મુખ્ય સચિવ અને સુરત સીપીને ફટકારી નોટિસ

  • Follow us on: