સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસ તંત્રને વધુ સુદ્રઢ અને પારદર્શક બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવાના હેતુથી એકસાથે 443 જેટલા પોલીસકર્મીઓની સામૂહિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે.જિલ્લા પોલીસ વડાના આ આંચકાજનક પગલાને કારણે સમગ્ર સુરેન્દ્રનગર પોલીસમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
એક જ સ્થળે ચીપકી રહેલા પોલીસ કર્મીઓ સામે એક્શન
આ સામૂહિક બદલીઓ પાછળ લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓ મુખ્ય કારણ છે. જેમાં છેલ્લા 5 વર્ષ કે તેથી વધુ સમયથી એક જ ડિવિઝનમાં ચીપકી રહેલા અને પોતાના સ્થાને સ્થિર થઈ ગયેલા કર્મચારીઓને નિશાન બનાવવામાં આવ્યા છે.આ ઉપરાંત જે કર્મચારીઓ 3 વર્ષથી વધુ સમયથી એક જ પોલીસ સ્ટેશન અથવા ચોક્કસ કાર્યક્ષેત્રમાં ફરજ બજાવી રહ્યા હતા.તેઓ પણ આ વહીવટી ફેરબદલથી સીધા અસરગ્રસ્ત થયા છે.












