સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષોથી વકરી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે જિલ્લા પ્રશાસન અને પોલીસ વિભાગે અભૂતપૂર્વ રણનીતિ ઘડી છે. જિલ્લાની જનતાને ભયમુક્ત વાતાવરણ અને શાંતિનો અનુભવ કરાવવા માટે ખનિજ માફિયાઓ અને બુટલેગરો વિરુદ્ધ એકસાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ખનિજ માફિયાઓ વિરુદ્ધ આકરું વલણ
ખનિજ ચોરી માટે પંકાયેલા સુરેન્દ્રનગરમાં ચોટીલા ડેપ્યુટી કલેકટર દ્વારા ખનિજ માફિયાઓનું બીજું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ યાદીમાં 100થી વધુ એવા માફિયાઓના નામ સામેલ છે જેઓ અગાઉ ખનિજ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે. તંત્ર દ્વારા આ માફિયાઓને જિલ્લામાંથી તડીપાર કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, જેથી ગેરકાયદેસર ખનન પર કાયમી રોક લગાવી શકાય.













