'સ્વચ્છ ભારત અભિયાન'ની વાતો વચ્ચે સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. સુરેન્દ્રનગર શહેરને સ્વચ્છ રાખવાની જેની જવાબદારી છે, તે જ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું સેનિટેશન વિભાગ જાહેરમાં ગંદકી ફેલાવી રહ્યું હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે.


બાયપાસ રોડ બન્યો નર્ક

રાજકોટ બાયપાસ રોડ પર આવેલી ખુલ્લી જગ્યામાં સુરેન્દ્રનગર મનપાના જેટિંગ મશીનો દ્વારા આખા ગામમાંથી એકત્ર કરેલ ભૂગર્ભ ગટરનું અત્યંત દૂષિત પાણી અને કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. કોઈ પણ જાતના ટ્રીટમેન્ટ વગર આ રીતે જાહેરમાં ગંદકીનો નિકાલ કરવામાં આવતા આસપાસના વિસ્તારમાં ભયંકર દુર્ગંધ ફેલાઈ રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, તંત્ર દ્વારા જ અહીં નિયમિતપણે ગટરનું ગંદુ પાણી છોડવામાં આવે છે.

સ્થાનિકોના આરોગ્ય પર ખતરો

જાહેરમાં ઠાલવવામાં આવતા ગટરના પાણી અને કચરાને કારણે મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશોના આરોગ્ય પર મોટું જોખમ ઉભું થયું છે. રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ ઉભો થાય છે કે, જો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જ આ રીતે નિયમોનું ઉલ્લંઘન કરશે, તો સામાન્ય નાગરિકો પાસેથી સ્વચ્છતાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? હાલમાં રહીશોએ આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી બતાવી છે.


આ પણ વાંચો - Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના બોર્ડના વિદ્યાર્થીઓ શૈક્ષણિક અને માનસિક કાઉન્સેલિંગ માટે હેલ્પલાઇન નંબરો જાહેર


  • Follow us on: