સમય બદલાયો, પણ પુસ્તકાલયનું મહત્ત્વ હજુ જળવાઈ રહ્યું છે. આજે પણ, વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝન અને મહિલાઓ સહિત ૩,૭૯૨ સભ્યો આ પુસ્તકાલયનો નિયમિત લાભ લઈ રહ્યા છે, જેમાંથી ગત માસમાં જ ૩૩૫ સભ્યોએ પોતાનું સભ્યપદ રીન્યુ કરાવ્યું છે. આ આંકડાઓ દર્શાવે છે કે, આજના ડિજિટલ યુગમાં પણ પુસ્તકો વાંચનાર લોકો માટે હજુ પુસ્તકાલયનું મહત્વ એટલું જ રહ્યું છે.
પુસ્તકાલયમાં શહેરીજનો માટે ઉત્તમ સુવિધાઓ
આધુનિક સમયની માંગને અનુરૂપ, પુસ્તકાલયમાં શહેરીજનો માટે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ પુસ્તકાલયમાં આવતા પુસ્તક પ્રેમી નાગરિકો માટે રૂપિયા ૧ કરોડના ખર્ચે નવી સ્માર્ટ લાઇબ્રેરી અને રૂપિયા ૫ કરોડના ખર્ચે ૪૦૦ ચો.મી.માં નવો અધ્યયન ખંડ (રીડિંગ હોલ) બનાવવામાં આવ્યો છે. આ રીડિંગ હોલમાં એકસાથે ૨૫૦ વિદ્યાર્થીઓ અને ૫૦ સિનિયર સિટીઝન નિરાંતે બેસીને વાંચી શકે તેવી વ્યવસ્થા છે. પરિવાર જેવું આ સમૃદ્ધ પુસ્તકાલય એ શહેરના વિદ્યાર્થીઓ, વ્યવસાયીઓ અને વૃદ્ધો માટે જ્ઞાનના અમૂલ્ય ભંડાર સમું બન્યું છે.













