સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના અમરાપર ગામમાં આવેલી આંગણવાડીમાં મધ્યાહન ભોજન યોજનામાં ચાલતી ગંભીર ગેરરીતિનો પર્દાફાશ થયો છે. ચોટીલા SDM એચ.ટી. મકવાણાએ બાતમીના આધારે અમરાપર ગામના મધ્યાહન ભોજન કેન્દ્ર નંબર-13 (અમરાપર-1) પર આકસ્મિક દરોડો પાડતા વહીવટી તંત્રમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.


મધ્યાહન ભોજન કેન્દ્ર પર કરી હતી તપાસ

એસડીએમ એચ.ટી. મકવાણાએ જ્યારે પોતે રૂબરૂ તપાસ હાથ ધરી ત્યારે મધ્યાહન ભોજનના રજિસ્ટર, જથ્થા અને ભોજનની ગુણવત્તામાં મોટી ક્ષતિઓ અને ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી. બાળકોના પોષણ માટે ફાળવવામાં આવતા ખોરાકમાં બેદરકારી અને અનિયમિતતા જણાતા ઉચ્ચ અધિકારીએ સ્થળ પર જ કડક કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. તપાસ દરમિયાન ગેરરીતિ સાબિત થતા જ SDM દ્વારા નીચે મુજબના સ્ટાફને તાત્કાલિક ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે: અનિલ અનદાણી (સંચાલક), મીઠીબેન પીહલા (રસોઈયા).

તપાસ દરમિયાન ગેરરીતિ સામે આવતા કાર્યવાહી

આ મામલે એસડીએમ દ્વારા થાનગઢ મામલતદારને લેખિત આદેશ સોંપવામાં આવ્યો છે, જેમાં આ ગેરરીતિ બદલ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને કેન્દ્રનો વહીવટ સુધારવા સૂચના આપવામાં આવી છે. આ ઘટનાને પગલે આસપાસની આંગણવાડીઓ અને મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક વાલીઓએ તંત્રની આ કામગીરીને આવકારી છે જેથી બાળકોને મળતા પોષણયુક્ત આહારમાં કોઈ બાંધછોડ ન થાય.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: