આ ગરિમામય અવસરે મંત્રીએ આદ્યશક્તિમાં શક્તિના ચરણોમાં વંદન કરી, સમગ્ર નગરજનોનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે અને સૌના જીવનમાં સુખાકારી વધે તેવી મંગલ પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મંત્રીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ધારાસભ્ય પી.કે.પરમારની સતત રજૂઆતો અને મહેનતને કારણે જ પાટડીમાં છેલ્લા ત્રણ વર્ષમાં મોટા પાયે વિકાસના કામો શક્ય બન્યા છે.


પાટડીના મુખ્ય તળાવનું સુંદર બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતને ૨૪ કલાક વીજળી મળી છે, તેનાથી ખેડૂતો આધુનિક સાધનો દ્વારા સારો પાક મેળવી રહ્યા છે. પાટડી નગરપાલિકા વિસ્તારમાં થયેલા વિવિધ વિકાસ કાર્યોની જાણકારી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, પાટડીના મુખ્ય તળાવનું સુંદર બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે, જ્યાં નાગરિકો માટે વોકિંગ ટ્રેક અને બેસવાની ઉત્તમ વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ સાથે જ આજે તળાવની બાજુમાં એક નયનરમ્ય ગાર્ડન પણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ આ તળાવને અમદાવાદના કાંકરિયા લેક જેવું સુંદર બનાવવાની અને બીજા તથા ત્રીજા ફેઝનું કામ ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.

નગરપાલિકામાં ફાયર ફાઈટર અને સેક્શન મશીન જેવા આધુનિક સાધનો અર્પણ કરવામાં આવ્યા

મંત્રીએ ઉમેર્યું હતું કે, નગરપાલિકાની પ્રાથમિક જવાબદારી સમાન નળ, ગટર અને પાણીની સુવિધાની સાથે સાથે અન્ય મહત્વના કામો પણ વેગવંતા બનાવાયા છે. યાત્રાધામ તરીકે જાણીતા શક્તિપીઠ મંદિર પાસે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે નવા બે રસ્તાઓ ખુલ્લા મૂકીને બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવી છે, જેનાથી ભક્તો અને સ્થાનિકોને મોટી રાહત થશે. વધુમાં, પાટડીની માં શક્તિના પીઠને યાત્રાધામ તરીકે વિકસાવવા માટેની પણ ખાતરી આપી હતી. શહેરી વિકાસના 'આગવી ઓળખ' બજેટ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં વિકાસકાર્યો કરવામાં આવશે. આ ઉપરાંત નગરપાલિકામાં ફાયર ફાઈટર અને સેક્શન મશીન જેવા આધુનિક સાધનો અર્પણ કરવામાં આવ્યા છે.

નેતૃત્વમાં સરકાર પાસે વિકાસ માટે પૈસાની કોઈ કમી નથી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર પાસે વિકાસ માટે પૈસાની કોઈ કમી નથી અને પાટડીને 'ડ' વર્ગમાંથી 'ક' વર્ગમાં લઈ જવા માટે તેઓ પ્રયત્નશીલ છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારી સરકાર માત્ર વાયદા નથી કરતી, પણ જે કામનું ખાતમુર્હુત કરે છે તેનું લોકાર્પણ પણ પોતે જ કરે છે. આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરાએ સ્વદેશી અપનાવવા પર ભાર મૂક્યો હતો અને ૨૦૪૭ સુધીમાં ભારતને નંબર વન દેશ બનાવવામાં સહભાગી બનવા જણાવ્યું હતું. ધારાસભ્ય પી.કે. પરમારે જણાવ્યું હતું કે, આ લોકાર્પણ અને ખાતમુર્હુતથી લોકોના જીવન ધોરણમાં સુધારો આવશે. વધુમાં તેમણે પાટડી વિધાનસભા મતવિસ્તારમાં આગામી વિકાસ કાર્યો વિશેની વિસ્તૃત જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન, અગ્રણી સર્વે દિલીપભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, અધિક કલેકટર વિષ્ણુભાઈ પ્રજાપતિ, પાટડી પ્રાંત અધિકારી મિલન રાવ, ચીફ ઓફિસર રઘુભાઈ ખાંભલા અને અન્ય વરિષ્ઠ આગેવાનો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : Surat News : સુરતમાં સુવાલી બીચ ફેસ્ટિવલના પ્રથમ બે દિવસે જનમેદની ઉમટી



  • Follow us on: