વડોદરાના સીને મોલમાં ગઈકાલે બપોરે લાગેલી ભયાનક આગના મામલે હવે વહીવટી તંત્ર અને તપાસ એજન્સીઓ એક્શન મોડમાં આવી છે. આગની ઘટના બાદ આજે સવારે એફએસએલ (FSL) ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ કયા કારણોસર લાગી તે જાણવા માટે વિવિધ નમૂનાઓ એકત્ર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ્યારે મોલમાં એકાએક આગ ફાટી નીકળી ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. સાવચેતીના ભાગરૂપે મોલની બાજુમાં આવેલા પેટ્રોલ પંપનું વીજ કનેક્શન પણ કાપી દેવામાં આવ્યું હતું જેથી મોટી હોનારત નિવારી શકાય.
સીને મોલ આગ અપડેટ
તંત્ર દ્વારા લેવામાં આવેલા કડક વલણ મુજબ, જ્યાં સુધી મોલના સંચાલકો ફાયર સેફ્ટી સહિતના તમામ જરૂરી સર્ટિફિકેટ્સ રજૂ નહીં કરે ત્યાં સુધી મોલને ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા પૂર્ણ થતા અને રિપોર્ટ આવતા અંદાજે બે મહિના જેટલો સમય લાગી શકે છે, ત્યાં સુધી સીને મોલ બંધ રહે તેવી શક્યતા છે. હાલ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા મોલમાં સેફ્ટીના સાધનો કાર્યરત હતા કે નહીં તે દિશામાં પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.













