વડોદરા શહેરની શાન એટલે સુરસાગર તળાવ જ્યાં લોકો પોતાની સાંજ વિતાવતા હોય છે. લોકોની ભારે ભીડ અને નજીકમાં મંગળ બજાર એટલે વેપારીને અહીં મોટું બજાર મળે છે. જે કારણે ઘણા લોકો રોજગારી મેળવવા સુરસાગર ફરતે આવેલી ફુટપાથ પર લારી ગલ્લા કે પાથરણા લગાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. આવામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન ઘણા લારી ગલ્લા જપ્ત કરી લેવામાં આવ્યા હતા. જે કારણે વેપારીઓ દ્વારા હોબાળો મચાવીને ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અચાનક આવી લારીઓ જપ્ત કરી લેવામાં આવી
વડોદરા શહેરમાં સુરસાગર તળાવ પાસે હાલ દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે. જેનો સ્થાનિક વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યા છે. આ દબાણ હટાવ ઝુંબેશમાં લારી-ગલ્લા હટાવતા લારી ધારકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. લારી ધારકે તંત્ર પર મનમાનીના આક્ષેપ કરવામાં આવ્યા છે. લારી ગલ્લા ધારકોનું કહેવું છે કે, કોર્પોરેશનની સૂચનાથી લારીઓ અંદર રાખી હતી. તેમ છતા અચાનક આવી લારીઓ જપ્ત કરી લેવામાં આવી છે. આ સાથે તેમણે અન્ય લારીઓ સામે કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ પણ કોર્પોરેશન પર લગાવ્યો હતો.













