વડોદરા જિલ્લાના સાવલી-કાલોલ માર્ગની બિસ્માર હાલતને લઈને સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ધનતેજ અને રતનપુરા વચ્ચેનો આશરે 3 કિલોમીટરનો રોડ અત્યંત ખખડધજ બની ગયો છે, જેના કારણે દરરોજ અહીંથી પસાર થતા હજારો વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર સમસ્યા અંગે સાવલી તાલુકા પંચાયતના સભ્ય જયેશ બાકરોલાએ મુખ્યમંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. આ સાથે ચોમાસા પહેલા યોગ્ય ઉકેલ નહીં આવે, તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.


મોટા ખાડાઓથી વાહનચાલકો અને દર્દીઓ પરેશાન

સાવલી-કાલોલ માર્ગ પર આવેલા ધનતેજ, નારપુરા, દીપાપુરા અને મેવલી ગામના લોકો લાંબા સમયથી આ ખરાબ રસ્તાનો ભોગ બની રહ્યા છે. રસ્તા પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા હોવાથી અકસ્માતનો ભય સતત મંડરાતો રહે છે. આ માર્ગ પરથી દરરોજ આશરે 1000થી વધુ વાહનોની અવરજવર થાય છે. રસ્તો એટલો બિસ્માર છે કે, કટોકટીના સમયે દર્દીઓ કે પ્રસુતિ મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવામાં ભારે વિલંબ થાય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ પણ આ માર્ગ પરથી પસાર થતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

અગાઉ વિરોધ છતાં તંત્ર નિષ્ક્રિય

સ્થાનિક ગ્રામજનો દ્વારા અગાઉ પણ આ રોડના સમારકામ માટે અનેકવાર વિરોધ પ્રદર્શન અને રજૂઆતો કરવામાં આવી ચૂકી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જેથી હવે લોકપ્રતિનિધિ જયેશ બાકરોલાએ આ મામલે સીધો હસ્તક્ષેપ કર્યો છે.

તાત્કાલિક સમારકામ અને નવા ડામર રોડની માગ

મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવેલી અરજીમાં માગ કરવામાં આવી છે કે, આગામી ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલાં આ 3 કિમીના પટ્ટાનું તાત્કાલિક ધોરણે સમારકામ કામ કરવામાં આવે અને ત્યારબાદ કાયમી ઉકેલ રૂપે નવો ડામર રોડ બનાવવામાં આવે. જો વહીવટી તંત્ર દ્વારા આ લોકપ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે, તો સ્થાનિક ગ્રામજનોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેવી ચીમકી પણ આપવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ રજૂઆત બાદ સફાળું જાગે છે કે કેમ!


આ પણ વાંચો - Vadodaraમાં ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનારાઓ સામે આરોગ્ય તંત્રની લાલ આંખ, તપાસ તેજ


  • Follow us on: