દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર વડોદરાના કરજણ અને પાદરા વચ્ચે આજે એક અત્યંત કમકમાટીભરી અકસ્માતની ઘટના સામે આવી છે. હાઈવે પર સાઈડમાં ઉભેલી એક આર્ટિગા કારને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા આઈશર ટેમ્પોએ જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
પરિવાર ખાટું શ્યામજીના દર્શન કરવા જઈ રહ્યો હતો
મળતી વિગતો અનુસાર, ભોગ બનનાર કમનસીબ પરિવાર સેલવાસનો રહેવાસી હતો અને કાર દ્વારા રાજસ્થાન સ્થિત પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ ખાટું શ્યામજીના દર્શન કરવા જઈ રહ્યો હતો. મુસાફરી દરમિયાન કરજણ અને પાદરા વચ્ચે એક્સપ્રેસવે પર કારમાંથી અચાનક કોઈ અવાજ આવવા લાગ્યો હતો. આથી કાર ચાલકે વાહનની તપાસ કરવા માટે કારને હાઈવેની સાઈડમાં રોકી દીધી હતી.
ટેમ્પોના ચાલકે આર્ટિગા કારને જોરદાર ટક્કર મારી
પરિવાર કાર ઉભી રાખીને તપાસ કરી રહ્યો હતો, બરાબર તે જ સમયે પાછળથી કાળ બનીને આવેલા એક આઈશર ટેમ્પોના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ઉભેલી આર્ટિગા કારને જોરદાર ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર હવામાં ફંગોળાઈને પલટી મારી ગઈ હતી અને તેનો કુરચો બોલી ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.
સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હાઈવે પરથી ક્ષતિગ્રસ્ત વાહનોને હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને મૃતકોના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. સેલવાસથી શ્રદ્ધા સાથે ખાટું શ્યામ જવા નીકળેલા પરિવારને રસ્તામાં જ કાળ ભેટી જતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ટેમ્પો ચાલક સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો---- Gujarat Latest News live : રાજકોટમાં બાબા બાગેશ્વર દરબાર મુદ્દે વિવાદ, પોલીસને સુઓમોટો દાખલ કરવા અરજી કરાશે