અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ વે પર 39 કિ.મી સુધીના રોડ પર રિસર્ફેસિંગનું કામ શરૂ થવાનું હોવાથી મુસાફરોને સમયસર પોતાના ઠેકાણે પહોંચવામાં વિલંબ થઈ શકે છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વડોદરાથી અમદાવાદ તરફના રોડ પરના 39 કિ.મીના પટ્ટામાં રોડ રીસર્ફેસિંગની કામગીરી શરૂ કરાઈ છે. આ કામગીરી આગામી એપ્રિલ મહિના સુધી ચાલશે. રિપેરિંગ અને લેન ડાયવર્ઝનને કારણે ટ્રાફિક ધીમો રહેશે. જેથી અમદાવાદ પહોંચવામાં 1 કલાકથી વધુનો સમય લાગી શકે છે.
વાહન ચાલકોને અપીલ કરવામાં આવી
નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે કે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર 39 કિ.મીના રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. વડોદરાથી અમદાવાદના પટ્ટા પર રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી આ હાઈવે પર ટ્રાફિકની સ્થિતિ ધીમી રહી શકે છે. મુસાફરોને અપીલ કરવામાં આવે છે કે, અમદાવાદ જવા માટે વહેલા નીકળવું અને ખાસ ઈમરજન્સી જેવી સ્થિતિ હોય તો જૂનો હાઈવે અથવા તો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો. જે પટ્ટા પર કામગીરી ચાલી રહી છે. ત્યાં વાહન ધીમું હંકારવા પણ અપીલ કરાઈ છે.













