વડોદરા શહેરને નશામુક્ત બનાવવા માટે વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા અપાયેલી કડક સૂચનાઓના પગલે કારેલીબાગ પોલીસે એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. શહેરના નવીધરતી ગોલવાડ વિસ્તારમાં હનુમાનજીના મંદિરની પાછળ જાહેરમાં ગાંજાનું વેચાણ કરતા એક હિસ્ટ્રીશીટરને પોલીસે ઝડપી પાડ્યો છે.


બનાવની વિગત મુજબ, કારેલીબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.એમ. ચૌધરી અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ ચેતનપુરી નારાયણપુરીને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીમાં જણાવવામાં આવ્યું હતું કે નવીધરતી ગોલવાડમાં રહેતો જેઠાભાઈ મંગતાણી વિદ્યાનંદ ચોક પાસે મંદિરની પાછળ બેસીને ગ્રાહકોને છૂટકમાં ગાંજો વેચી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવીને દરોડો પાડતા આરોપી જેઠાભાઈ પરમાનંદ મંગતાણી રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

પોલીસે આરોપી પાસેથી 22.26 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો (કિંમત રૂ. 1,113), ગાંજાના વેચાણના રોકડા રૂ. 3,490 અને મોબાઈલ મળી કુલ રૂ. 5,103નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ તપાસમાં આરોપી જેઠાભાઈનો ગુનાહિત ઈતિહાસ પણ સામે આવ્યો છે; તેની સામે અગાઉ પણ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ અને જુગારધારા હેઠળ ગુના નોંધાયેલા છે.

પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે આ ગાંજાનો જથ્થો પાણીગેટ વિસ્તારમાં રહેતો 'સલીમ' નામનો શખ્સ આપી ગયો હતો. પોલીસે હાલ જેઠાભાઈ સામે NDPS એક્ટની કલમ 8(c), 20(b) અને 29 મુજબ ગુનો નોંધી, ગાંજો સપ્લાય કરનાર વોન્ટેડ આરોપી સલીમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો - Vadodara News: પોલીસનો સપાટો, એક દિવસમાં કર્યા 47 દારૂના કેસ, 43 આરોપીની ધરપકડ

  • Follow us on: