વડોદરા જિલ્લાના સાવલી-ઉદલપુર માર્ગ પર આવેલા બ્રિજની નબળી કામગીરીનો મુદ્દો ફરી એકવાર જોરશોરથી ગાજ્યો છે. આ બ્રિજના નિર્માણ કાર્યમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સમગ્ર પંથકમાં ભારે વિવાદ ઊભો થયો છે. સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે આ બ્રિજની કામગીરી અંગે અગાઉ લેખિતમાં ઉચ્ચ સ્તરે ધારદાર રજૂઆતો કરી હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર નિકાલ ન આવતાં આ મામલે વડોદરાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
બ્રિજના કામ સામે સવાલો યથાવત
સાવલી-ઉદલપુર રોડ પર બની રહેલા બ્રિજના કામની ગુણવત્તા સામે સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા લાંબા સમયથી સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા. આ લોકફરિયાદોને ધ્યાને લઈને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે અગાઉ સબંધિત વિભાગના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓને પત્ર લખીને કડક રજૂઆત કરી હતી. જોકે, આ સત્તાવાર રજૂઆતના મહિનાઓ બાદ પણ સરકારી તંત્ર કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યું હોય તેમ હજી સુધી આ પ્રશ્નનો કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નથી, જેને પગલે બ્રિજના નબળા કામ અંગેના અનેક સવાલો આજે પણ યથાવત છે.













