વડોદરા જિલ્લામાંથી મીડિયાના અહેવાલની એક બહુ મોટી અને વ્યાપક અસર સામે આવી છે. સ્થાનિક ગ્રામજનોની વર્ષો જૂની ગંભીર સમસ્યા અંગે 'સંદેશ ન્યૂઝ' દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. ઉદલપુર ખાતે આવેલી બી.ડી. પટેલ ક્વોરીમાં ગેરકાયદેસર અને જોખમી બ્લાસ્ટિંગના મુદ્દે ખાણ-ખનીજ વિભાગ દ્વારા કડક તપાસના આદેશો આપવામાં આવ્યા છે, જેના પગલે સ્થાનિકોમાં ન્યાયની આશા જાગી છે.


ભારે ધડાકા અને કંપનથી મકાનો જર્જરીત

સંદેશ ન્યૂઝના અહેવાલની ગંભીરતાને ધ્યાને લઈને રાજ્યના પાટનગર ગાંધીનગરથી ખાણ-ખનીજ વિભાગની સ્પેશિયલ ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ તાત્કાલિક વડોદરાના ઉદલપુર દોડી આવી હતી. ફ્લાઈંગ સ્ક્વોડે માઈન્સમાં રૂબરૂ જઈને બ્લાસ્ટિંગની તીવ્રતા અને કાયદાકીય નિયમો અંગે સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટીમે કડક વલણ અપનાવીને માઈન્સ સંચાલકને આગામી બીજી સત્તાવાર સૂચના ન મળે ત્યાં સુધી ક્વોરીમાં તમામ પ્રકારનું બ્લાસ્ટિંગ કામ તાત્કાલિક અસરથી સંપૂર્ણપણે બંધ રાખવા માટેની લેખિત સૂચના આપી દીધી છે.

ઉદલપુર-જાનીપુરાના ગ્રામજનોમાં હતો ભય

ઉદલપુર અને જાનીપુરા ગામના રહીશો લાંબા સમયથી થતા ભારે બ્લાસ્ટિંગ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તંત્રને રજૂઆતો કરી રહ્યા હતા. ક્વોરીમાં થતા ગગનચુંબી ધડાકા, અસહ્ય ધૂળની ડમરીઓ અને જમીનના તીવ્ર કંપનના કારણે સ્થાનિક ગ્રામજનો સતત ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા હતા. આ બ્લાસ્ટિંગના લીધે ગરીબ ગ્રામજનોના પાકા મકાનોમાં પણ મોટી તિરાડો પડી ગઈ હતી અને મકાનો જર્જરીત બન્યા હતા. જોકે, સંદેશ ન્યૂઝે જનતાનો અવાજ બુલંદ કરતા આખરે તંત્રને નમવું પડ્યું છે અને બ્લાસ્ટિંગ બંધ થતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: