વલસાડના કપરાડા તાલુકાના કુંભઘાટ પાસેના વળાંક પર માર્ગ અકસ્માતની ગમખ્વાર ઘટના બની હતી. પૂરપાટ ઝડપે જતી એક ઇકો કાર અને ટ્રક સામસામે અથડાતા કારનો કુરચો બોલી ગયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર મુસાફરો લોખંડના પતરા વચ્ચે ફસાઈ ગયા હતા. અકસ્માત સર્જાતા જ 6 લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો.


કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

ગંભીર રીતે ઇજાગ્રસ્ત અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, આમ આ અકસ્માતમાં કુલ મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. અકસ્માતની જાણ થતા જ કપરાડા પોલીસ, હાઇવે ઓથોરિટીની ટીમ અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. કુંભઘાટના જોખમી વળાંક પર સર્જાયેલા આ અકસ્માત બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી

પોલીસે ક્રેન અને સ્થાનિક લોકોની મદદથી મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે ગુનો નોંધીને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘાટના માર્ગો પર વાહનોની અનિયંત્રિત ગતિ અને અસાવધાની ફરી એકવાર જીવલેણ સાબિત થઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: