વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ પાસે સર્જાયેલા હૃદયદ્રાવક અકસ્માતની ઘટના બાદ સ્થાનિક ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી ગયા હતા. સાત લોકોના ભોગ લેનાર આ ગમખ્વાર અકસ્માતને પગલે ધારાસભ્યએ શોકગ્રસ્ત પરિવારજનોની મુલાકાત લીધી હતી અને તેમને સરકારી વળતર અપાવવા માટે સરકારમાં રજૂઆત કરવાની મહત્વની બાંહેધરી આપી હતી.
વિધાનસભા સત્ર છોડી મતવિસ્તારમાં પહોંચ્યા ધારાસભ્ય
રાજ્યમાં હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, પરંતુ પોતાના મતવિસ્તારમાં આટલી મોટી દુર્ઘટના બની હોવાની જાણ થતા જ ધારાસભ્ય જીતુ ચૌધરી સામાજિક કામ અર્થે કપરાડા આવ્યા હતા અને સીધા જ અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. તેમણે ઘટનાની ગંભીરતા જોઈને વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી હતી અને પીડિત પરિવારોને આર્થિક સહાય મળે તે માટે સરકારમાં રજૂઆત કરવાનું આશ્વાસન આપ્યું હતું.













