વલસાડ શહેરમાં નિર્માણ પામી રહેલી પાણીની ટાંકીનો સ્લેબ અચાનક ધરાશાયી થવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. આ દુર્ઘટના બાદ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીના આક્ષેપો સાથે રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને વલસાડ નગરપાલિકાના શાસકોના નિવેદનોએ આ ચર્ચામાં ઘી હોમવાનું કામ કર્યું છે.
GUDCના અધિકારી પર ભરાશે પગલાં: ચેરમેન
ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ નગરપાલિકાના વોટર કમિટીના ચેરમેન અમિષ દેસાઈએ શરૂઆતમાં આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. તેમણે સીધો આક્ષેપ કર્યો હતો કે GUDCના અધિકારીઓની દેખરેખના અભાવે આ દુર્ઘટના ઘટી છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવામાં આવશે.













