બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ હાઈવે પર આવેલી નર્મદાની મુખ્ય કેનાલ ફરી એકવાર આત્મહત્યાની ઘટનાને પગલે ચર્ચામાં આવી છે. થરાદ પાસે પસાર થતી મુખ્ય કેનાલના પુલ પરથી એક યુવકે રહસ્યમય સંજોગોમાં કેનાલમાં પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.


નર્મદાની મુખ્ય કેનાલમાં પડતું મૂકીને આપઘાત

આપઘાત કરનાર યુવક થરાદના ચામુંડા નગર વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. યુવકે વાવ-થરાદ હાઈવે પરના કેનાલના પુલ પાસે પહોંચી અચાનક પાણીમાં ઝંપલાવ્યું હતું. યુવકે આ આત્યંતિક પગલું કયા કારણોસર ભર્યું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અને સ્થાનિકો માટે આપઘાતનું કારણ હાલ તપાસનો વિષય બન્યું છે.

કેનાલમાંથી યુવકની શોધખોળ હાથ ધરાઈ

ઘટનાની જાણ થતાં જ થરાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કેનાલના ઊંડા પાણીમાં યુવકની શોધખોળ માટે તરવૈયાઓની મદદ લેવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવકના પરિવારજનોને જાણ કરવામાં આવતા શોકની લાગણી ફરી વળી છે. કેનાલ પર સતત બનતી આવી ઘટનાઓ રોકવા માટે સુરક્ષાની દિવાલ કે ફેન્સિંગ કરવામાં આવે તેવી માંગ પણ સ્થાનિકોમાં ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: