ઉત્તર ગુજરાતમાં નવા બનેલા વાવ થરાદની કેનાલની ઓવરફ્લો લાઈન બંધ હોવાથી પાણી ખેતરોમાં ફરી વળ્યાં છે. જેના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે. આ અંગે ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરવામાં નહીં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કેનાલની માલસણ બ્રાન્ચમાં ઓવરફ્લો લાઈન બંધ હોવાથી પાણીનો યોગ્ય નિકાલ થઈ શક્યો નથી અને પરિણામે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે.
લાઈન બંધ હોવાથી ખેતરમાં પાણી ફરી વળ્યા
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના વાવડી ગામ નજીક આવેલી વાવડી માઈનોર કેનાલમાં ઓવરફ્લો લાઈન બંધ થઈ જતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે.વાવડી ગામની સીમમાં અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા ઘઉં અને જુવાર જેવા પાકને નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. પાક કાપણીનો સમય નજીક આવી રહ્યો હોય ત્યારે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.













