વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ખેરવાડી ગામમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં સુરતળાવ માઇનોર કેનાલ તૂટવાને કારણે નર્મદાના નીરનો મોટાપાયે વેડફાટ થઈ રહ્યો છે. કેનાલના ઓવરફ્લો થયેલા પાણી ગામની નવી નગરીમાં લોકોના ઘરો સુધી પહોંચી જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શું છે વિવાદનું મુખ્ય કારણ?
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરતળાવ માઇનોર કેનાલના ધાબા અત્યંત જર્જરિત હાલતમાં છે. બીજી તરફ, ખેડૂતોએ કેનાલની બાજુમાં જ એક કાંસ બનાવી છે, જેના દ્વારા તેઓ ખેતરમાં પાણી લઈ જાય છે. જોકે, આ કાંસમાં ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા હોવાથી અને તે છીછરી હોવાથી પાણી આગળ વધી શકતું નથી. પરિણામે પાણી ઓવરફ્લો થઈને લોકોના ઘરોની પાછળના ભાગમાં ઘૂસી ગયું છે.













