મહેસાણા ફૂડ વિભાગ દ્વારા વિજાપુર ખાતે ચલાવવામાં આવતી ડુપ્લીકેટ પનીર બનાવતી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન લેવામાં આવેલા પનીરના નમૂનાઓ લેબોરેટરી ટેસ્ટમાં ફેઇલ સાબિત થયા છે, જેના કારણે ફેક્ટરી સંચાલકો સામે કડક કાર્યવાહીનો માર્ગ મોકળો થયો છે. ફૂડ વિભાગની તપાસમાં જાણવા મળ્યું છે કે પનીરના નમૂનાઓમાં વેજ ફેટ (વનસ્પતિજન્ય ચરબી)ની હાજરી હતી, જે પનીર બનાવવાના નિયમ વિરુદ્ધ છે. સામાન્ય રીતે, પનીર દૂધમાંથી બને છે, જેમાં પ્રાણીજન્ય ચરબી હોય છે. જોકે, આ ફેક્ટરીમાં પનીર બનાવવા માટે દૂધને બદલે કેમિકલ અને અન્ય અખાદ્ય પદાર્થોનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે.
ફૂડ વિભાગની તપાસમાં પનીરના નમૂના ફેલ
આ ગંભીર બેદરકારીને પગલે, મહેસાણા ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને આ પનીર ફેક્ટરીનું લાયસન્સ કાયમી ધોરણે રદ્દ કરવામાં આવ્યું છે. આ પગલું ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ માટે એક કડક ચેતવણી સમાન છે. આગળની કાર્યવાહી તરીકે, ફૂડ વિભાગ હવે આ કેસને અધિક કલેક્ટરની કોર્ટમાં ચલાવશે. કાયદા મુજબ, ફેક્ટરી સંચાલકને અંદાજે ₹10 લાખથી વધુનો દંડ પણ થઈ શકે છે. આ દંડની રકમ ગુનાની ગંભીરતા અને વેચવામાં આવેલા નકલી પનીરના જથ્થા પર આધાર રાખે છે.













