મહેસાણાના લોકો માટે એક મોટા અને ખુશીના સમાચાર આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી માંગણીને સ્વીકારીને રેલવે વિભાગ દ્વારા ભાવનગર-અયોધ્યા એક્સપ્રેસ ટ્રેનને મહેસાણામાં સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ નિર્ણયથી મહેસાણા અને આસપાસના વિસ્તારના રામભક્તો માટે હવે સીધા રામલલ્લાના દર્શને જવાનો માર્ગ સરળ બન્યો છે.
ટ્રેનને લીલીઝંડી આપી
ભાવનગર-અયોધ્યા ટ્રેન નંબર 19201 અને અયોધ્યા-ભાવનગર ટ્રેન નંબર 19202 ને મહેસાણા ખાતે સ્ટોપેજ આપવાની જાહેરાત બાદ મહેસાણાના સંસદસભ્ય હરિભાઈ પટેલના હસ્તે ટ્રેનને લીલીઝંડી આપીને આ સેવાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખુશી વ્યક્ત કરી હતી.
રામભક્તોની સુવિધામાં વધારો
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયા બાદ દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રામલલ્લાના દર્શને જઈ રહ્યા છે. ગુજરાતમાંથી પણ અનેક લોકો અયોધ્યાથી મુલાકાત લઇ રહ્યા છે. જોકે, ઉત્તર ગુજરાતમાંથી અયોધ્યા જવા માટે સીધી ટ્રેન સેવા ઉપલબ્ધ ન હોવાની યાત્રિકોને મુશ્કેલી પડતી હતી. હવે ભાવનગર-અયોધ્યા ટ્રેનને મહેસાણામાં સ્ટોપેજ મળવાથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે અયોધ્યા જવું ખૂબ જ સરળ બનશે.
પ્રવાસન અને આર્થિક વિકાસને વેગ
આ સ્ટોપેજ માત્ર ધાર્મિક પ્રવાસનને જ નહીં પરંતુ મહેસાણા જિલ્લાના આર્થિક વિકાસને પણ વેગ મળશે. ટ્રેનના સ્ટોપેજથી સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગોને પણ ફાયદો થશે. આ નિર્ણય બદલ સ્થાનિક લોકોએ સંસદસભ્ય હરિભાઈ પટેલ અને રેલવે મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો છે. હવે મહેસાણાના લોકો સરળતાથી અને સુવિધાપૂર્વક સીધા જ રામલ્લાના દર્શન કરવા જઈ શકશે.