મહેસાણા જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ પાકનું વાવેતર સમયસર થયેલા વરસાદને કારણે સારું રહ્યું છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 2,71,000 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે, જેમાં મુખ્યત્વે દિવેલા, કપાસ, મગફળી, ડાંગર અને કઠોળ પાકોનો સમાવેશ થાય છે. સમયસર વરસાદ આવવાથી ખેડૂતોને પાક વાવેતરમાં સરળતા રહી હતી. જેમાં ખાસ કરીને કપાસ અને મગફળી જેવા પાકોને પિયતની જરૂરિયાત હતી તેવા સમયે વરસાદ થવાથી પાકને ઘણો ફાયદો થયો છે.
પાકોમાં નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાઈ રહે તો પાકને નુકસાન થવાની શક્યતા
આ પાક માટે વરસાદ અત્યંત લાભદાયક સાબિત થયો છે. જોકે દિવેલા જેવા પાકોમાં નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાઈ રહે તો પાકને નુકસાન થવાની શક્યતા પણ રહેલી છે. જોકે, મહેસાણા જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું અને સમયાંતરે આવતું હોવાથી પાણી ભરાવવાના બનાવો ઓછા બન્યા છે. તેમ છતાં ખેડૂતોને કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે. ખેડૂતોએ પોતાના ખેતરોમાંથી પાણીનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ અને પાણી ઉતરી ગયા બાદ જ કોઈ પણ દવા કે ખાતરનો છંટકાવ કરવો જોઈએ. આ ઉપરાંત જ્યાં સુધી જમીન સુકાઈ નહીં ત્યાં સુધી પિયત આપવાનું ટાળવું જોઈએ. યોગ્ય સમયે લેવાયેલા આ પગલાં ખેડૂતોને પાકને નુકસાનથી બચાવવામાં મદદ કરશે.













