મહેસાણા જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ પાકનું વાવેતર સમયસર થયેલા વરસાદને કારણે સારું રહ્યું છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 2,71,000 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે, જેમાં મુખ્યત્વે દિવેલા, કપાસ, મગફળી, ડાંગર અને કઠોળ પાકોનો સમાવેશ થાય છે. સમયસર વરસાદ આવવાથી ખેડૂતોને પાક વાવેતરમાં સરળતા રહી હતી. જેમાં ખાસ કરીને કપાસ અને મગફળી જેવા પાકોને પિયતની જરૂરિયાત હતી તેવા સમયે વરસાદ થવાથી પાકને ઘણો ફાયદો થયો છે.


પાકોમાં નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાઈ રહે તો પાકને નુકસાન થવાની શક્યતા

આ પાક માટે વરસાદ અત્યંત લાભદાયક સાબિત થયો છે. જોકે દિવેલા જેવા પાકોમાં નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાઈ રહે તો પાકને નુકસાન થવાની શક્યતા પણ રહેલી છે. જોકે, મહેસાણા જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું અને સમયાંતરે આવતું હોવાથી પાણી ભરાવવાના બનાવો ઓછા બન્યા છે. તેમ છતાં ખેડૂતોને કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે. ખેડૂતોએ પોતાના ખેતરોમાંથી પાણીનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ અને પાણી ઉતરી ગયા બાદ જ કોઈ પણ દવા કે ખાતરનો છંટકાવ કરવો જોઈએ. આ ઉપરાંત જ્યાં સુધી જમીન સુકાઈ નહીં ત્યાં સુધી પિયત આપવાનું ટાળવું જોઈએ. યોગ્ય સમયે લેવાયેલા આ પગલાં ખેડૂતોને પાકને નુકસાનથી બચાવવામાં મદદ કરશે.

રાજ્યમાં 81 લાખ હેક્ટરથી વધુ જમીનમાં ખરીફ પાકનું વાવેતર

બીજી તરફ તમને જણાવી દઈએ કે રાજ્યભરમાં આ વર્ષે સારો વરસાદ વરસતા ખરીફ પાકોના વાવેતરમાં મોટો વધારો થયો છે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં કુલ 81.02 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે, જે કુલ લક્ષ્યાંકના 94 ટકા જેટલું છે. આ આંકડા ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે સારા સમાચાર લઈને આવ્યા છે, કારણ કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વાવેતર વધુ સંતોષકારક રહ્યું છે. જેમાં ખાસ કરીને મગફળીનું વાવેતર 21.88 લાખ હેક્ટર વિસ્તાર, કપાસનું વાવેતર 20 લાખ હેક્ટર વિસ્તારને પાર કરી ગયું છે.

  • Follow us on: