ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવ્યા છે. ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઘોઘાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ઘોઘા સહિત ભાવનગર જિલ્લાના તમામ બંદરો પર તંત્ર દ્વારા 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.


ભારે વરસાદની આગાહીને પગલે સિગ્નલ લગાવાયું

આ સિગ્નલ સૂચવે છે કે દરિયામાં ભારે પવન અને તોફાની મોજાંની સંભાવના છે અને માછીમારો તેમજ દરિયાઈ ગતિવિધિઓ સાથે સંકળાયેલા લોકોએ સાવધાન રહેવું. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરી છે. જે આગામી સાત દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ ચાલુ રહી શકે છે. ખાસ કરીને 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

27 ઓક્ટોબર સુધી છે ભારે વરસાદની આગાહી

તંત્ર દ્વારા આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરિયા કિનારે રહેતા લોકોને અને ખાસ કરીને માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. માછીમારોએ પણ વહીવટી તંત્રની સૂચનાનું પાલન કરીને તેમની તમામ બોટને દરિયા કિનારે સુરક્ષિત રીતે લાંગરી દીધી છે. ભારે વરસાદની આગાહી અને દરિયાઈ કરંટને જોતાં પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.


  • Follow us on: