સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે. પાકોને ભારે નુકસાની વેઠવી પડી રહી છે. જેના કારણે જગતનો તાત નિરાશા અને સંકટમાં ડૂબી ગયો છે. આવી કપરી પરિસ્થિતિમાં રાજકોટના ધોરાજી પંથકના એક ખેડૂતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે ચોધાર આંસુએ રડતા જોવા મળે છે અને ખેડૂતોના મસીહા ગણાતા દિવંગત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કરી રહ્યા છે.
વિઠ્ઠલ રાદડિયાને યાદ કરીને ખેડૂત રડ્યા
ખેડૂતોના મસીહા અને સૌરાષ્ટ્રના સાવજ તરીકે જાણીતા પૂર્વ પોરબંદર સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાના અવસાન બાદ ખેડૂતોનું કોઈ સાંભળનારું નથી તેવું ખેડૂતોનું માનવું છે. વીડિયોમાં ખેડૂત પોતાની વેદના વ્યક્ત કરતાં કહે છે કે આજે કુદરત રૂઠ્યો છે અને કમોસમી વરસાદે પાકનો નાશ કરી નાખ્યો છે. પરંતુ તેમની વાત સાંભળનારું કોઈ મસીહા નથી. જો વિઠ્ઠલભાઈ આજે જીવિત હોત તો ખેડૂતોની આવી કફોડી હાલત ન થવા દીધી હોત.













