ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેર ઉપરાંત કંસારી, ભાયા, વાજડી, દેલવાડા, નવાબંદર, રામપરા, કાળાપણ અને ખાણ જેવા ગામોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારોમાં ગરમી અને બફારાનું પ્રમાણ એટલું વધી ગયું હતું કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે આ વરસાદે તેમને આ અસહ્ય ગરમીમાંથી મોટી રાહત આપી છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈએ ઠંડા વાતાવરણનો આનંદ માણ્યો.
ઉભા પાકને મળ્યું નવજીવન
આ વરસાદનું આગમન ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. ખાસ કરીને એવા સમયે જ્યારે પાકને પાણીની તાતી જરૂરિયાત હતી. ત્યારે આ વરસાદે ઉભા પાકને નવજીવન આપ્યું છે. લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત હતા કે તેમનો પાક સુકાઈ જશે પરંતુ આ વરસાદે તેમની આશા જીવંત રાખી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ વરસાદથી કપાસ, મગફળી અને અન્ય પાકોને મોટો ફાયદો થશે અને સારો પાક ઉતારવાની શક્યતા વધી ગઈ છે.













