જામનગર પંથકમાં ભારે વરસાદને પગલે રંગમતી ડેમ ફરી એક વખત પાણીથી છલોછલ ભરાયો છે. રંગમતી ડેમ છલોછલ ભરાવવાના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી છોડવામાં આવ્યું છે, જેને પગલે દરેડ પાસે આવેલા ખોડિયાર મંદિરમાં પાણી ઘુસ્યા છે. રંગમતી ડેમના દરવાજા ખોલવામાં આવતા ખોડિયાર મંદિરની ચારેબાજુ પાણી-પાણી જોવા મળી રહ્યું છે.
રંગમતી ડેમના દરવાજા ખોલતા મંદિરમાં પાણી ઘુસ્યા
ઉલ્લેખનીય છે કે ડેમના દરવાજા ખોલવાને લઈને નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. રંગમતી ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલવામાં આવ્યો હતો. જેને પગલે ચંગા, ચેલા, દરેડ ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. ત્યારે નવાગામ ઘેડ વિસ્તારના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે જામનગર જિલ્લાના જોડીયામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. જોડિયાના માનપર, બાલંભા, લખતર, ભાદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
ગિરનાર પર્વત પર બે ઈંચ વરસાદ વરસ્યો
બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ગિરનાર પર્વત પર બે ઈંચ વરસાદ વરસ્યો છે તો કેશોદ તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે. વંથલી, વિસાવદર, મેંદરડામાં દોઢ ઈંચ વરસાદ, માણાવદર, ભેંસાણ તાલુકામાં 1-1 ઈંચ વરસાદ અને માંગરોળ અને માળીયા હાટીનામાં અડધો ઈંચ વરસ્યો છે. બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હાલમા ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ પણ વરસાદની શક્યતાઓ છે.