જૂનાગઢ જિલ્લામાં આજે અને આવતીકાલે એમ બે દિવસ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને જિલ્લા કલેકટરે તમામ ટીમોને એલર્ટ મોડમાં રહેવાની સૂચના આપીને જળાશયો ઉપર ચૂસ્ત બંદોબસ્ત રાખીને સતર્ક રહેવા આદેશ કર્યો છે.


ચેકપોસ્ટ ઉપર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

જૂનાગઢમાં જે જળાશયો પાસે સૌથી વધુ લોકો ઉમટી પડે છે અને જ્યાંથી અનેક વીડિયો વાયરલ થયા છે તેવા ગિરનાર જંગલમાં આવેલા જટાશંકર મંદિર પાસેના ઝરણાઓ પાસે જવા માટે પ્રતિબંધ ફરમાવાયો છે. જટાશંકર જવાનો રૂટ પણ તંત્ર દ્વારા 21 ઓગસ્ટ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. જેને લઈને ગત મોડી રાતથી જ અહી ભવનાથમાં રોપ-વે પાસે જટાશંકર જવાના રૂટ ઉપર ફોરેસ્ટ ચેકપોસ્ટ ઉપર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વન વિભાગને એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી

ફોરેસ્ટ સ્ટાફ અહી તૈનાત કરવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિને અહીં પ્રવેશ આપવામાં આવતો નથી. વિલિંગડન ડેમ, ગિરનાર, દાતાર પગથીયે, દામોદરકુંડ, પ્રકૃતિધામ રોડ ઉપર પણ પોલીસ બંદોબસ્ત સાથે વનવિભાગને એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી છે. જેમાં ખાસ કરીને જૂનાગઢ ડી.વાય.એસ.પી હિતેશ ધાંધલીયા, રેંજ ફોરેસ્ટ ઓફિસર અરવિંદ ભાલીયા, તેમજ મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નર જયેશ વાજા અને તેમની ટીમને સતર્ક રહેવા જણાવાયું છે.

કાળવાના પ્રવાહ ઉપર ધ્યાન રાખવાના આદેશ

ખાસ કરીને ગિરનાર ઉપર અનરાધાર વરસાદ વરસે અને કાળવા મારફતે તે પાણી શહેરમાં આવે તેને લઈને એલર્ટ રહેવા માટે મનપાના ડેપ્યુટી કમિશ્નરને પણ કાળવાના પ્રવાહ ઉપર ધ્યાન રાખવાના આદેશ કરવામાં આવ્યા છે. તેમજ કલેકટરે તમામ બચાવ મશીનરીઓને સ્ટેન્ડ બાય રાખીને ફાયર વિભાગને પણ સ્ટેન્ડ બાય રાખીને તમામ ટીમોને એલર્ટ મોડમાં રહેવા સૂચના આપી છે.


  • Follow us on: