મહેસાણામાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લાના બહુચરાજી તાલુકા અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેના કારણે રોડ-રસ્તા પર પાણી વહેતા થયા છે. આજે બહુચરાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારો જેવા કે સુરાપુરા, ચંદ્રોડા, સુરજ, મંડાલી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. દિવસભરના વાતાવરણમાં પલટો આવ્યા બાદ આ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.


બહુચરાજી અને આસપાસના ગામમાં વરસાદ

વરસાદનું પ્રમાણ ઓછું હોવા છતાં કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી રોડ-રસ્તા પર વહેતા થયા હતા. જેના કારણે વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વરસાદના ઝાપટાંને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલમાં ખેતરોમાં તૈયાર પાક ઊભો હોય અથવા કાપણીની તૈયારી હોય ત્યારે અણધાર્યો વરસાદ નુકસાન પહોંચાડી શકે છે.

વરસાદી પાણી રોડ રસ્તા પર વહેતા થયા

અગાઉના વરસાદના કારણે જો પાકને નુકસાન થયું હોય અને ફરીથી વરસાદ પડે તો ખેડૂતોને બેવડો માર પડી શકે છે. બહુચરાજી પંથકમાં સર્જાયેલો આ વરસાદી માહોલ સ્થાનિક જનજીવન અને ખેતી પર કેવો પ્રભાવ પાડે છે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે. જોકે ખેડૂતો હાલમાં પોતાના પાકને નુકસાન ન થાય તે માટે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે.


  • Follow us on: