બનાસકાંઠાના સુઈગામમાં બારે મેઘ ખાંગા થતાં સર્વત્ર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સુઇ ગામમાં ખાબકેલા 17 ઇંચ વરસાદથી દરિયા જેવી સ્થિતી સર્જાઇ છે. સુઈગામમાં અટવાયેલા લોકોની મદદે SDRF પહોંચ્યું છે અને ફસાયેલા લોકોને બચાવવાની તજવીજ શરુ કરાઇ છે.


જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિને લઈને બેઠક

બીજી તરફ બનાસકાંઠામાં ભારે વરસાદને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ બેઠક બોલાવી હતી. તેમણે થરાદ ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં જિલ્લા કલેકટર, SP સહિતના અધિકારીઓ હાજર હતા અને ફસાયેલા લોકોને ઝડપથી કઇ રીતે મદદ પહોંચાડવી તથા રાહત સામગ્ર પહોંચાડવી તે બાબતે ઉંડી ચર્ચા કરાઇ હતી.

અનેક ગામોમાં પાણી ફરી વળ્યા

ઉલ્લેખનિય છે કે રવિવારે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે અને 13 ગામ સંપર્ક વિહોણા બની ગયા છે. સુઇ ગામમાં તો 17 ઇંચ વરસાદ પડતાં લોકોના ઘરોમાં પાણી ભરાઇ ગયા છે. જીવન જરુરીયાતની ચીજો પણ મળતી નથી જેથી વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે.

ખેતરો અને ગામડાઓ જળબંબાકાર

સુઇ ગામમાં માત્ર 12 કલાકમાં 13 ઇંચ વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ પણ સતત વરસાદ ચાલુ રહ્યો હતો. જેથી ખેતરો અને ગામડાઓ જળબંબાકાર બની ગયા છે. ટ્રેક્ટર જેવા મોટા સાધનો પણ આ પાણીમાં જઇ શકે તેમ નથી. મોટાભાગના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે અને પાણીનો નિકાલ થતો ના હોવાથી લોકોની મુશ્કેલી વધી ગઇ છે.

 

  • Follow us on: