સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને કરોડોના ભ્રષ્ટાચારની પોલ ચોમાસાના પ્રથમ વરસાદે જ ખોલી નાખી છે. સુરતના લાઈમલાઈટ ગણાતા મોટા વરાછા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને તંત્રને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં કરોડોના ખર્ચે બનેલો આશરે 400 મીટર લાંબો આખો રસ્તો પહેલા જ સામાન્ય વરસાદમાં પત્તાના મહેલની જેમ બેસી ગયો છે. રસ્તા પર એક-બે નહીં પરંતુ આખેઆખી કાર સમાઈ જાય તેવડા મોટા 4 થી 5 ભયાનક ભુવા પડતાં સ્થાનિકોમાં પાલિકા સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
ડ્રેનેજ કામગીરીના નામે મોટો ભ્રષ્ટાચાર?
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલા જ પાલિકા દ્વારા આ મુખ્ય રસ્તા પર ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. ડ્રેનેજનું કામ પૂરું થયા બાદ રસ્તાનું પ્રોપર કાર્પેટિંગ કે પુરાણ ન કરાયું હોવાથી, વરસાદી પાણી ભરાતા જ આખો રોડ નીચે બેસી ગયો હતો. રસ્તાની આવી બદતર હાલત જોઈને વાહનચાલકો પણ ફફડી ઉઠ્યા હતા. સદનસીબે જ્યારે આ રસ્તો બેસી ગયો ત્યારે કોઈ વાહન ત્યાંથી પસાર ન થતું હોવાથી મોટી જાનહાનિ ટળી છે.













