મોરબી જિલ્લાના જેતપુર વિસ્તારમાં ખેડૂતો દ્વારા વીજપોલ વળતર મુદ્દે અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે તેમના ખેતરોમાંથી પસાર થતા વીજપોલ માટે યોગ્ય વળતર આપવામાં આવ્યું નથી, જેના વિરોધમાં તેઓ છેલ્લા કેટલાક દિવસોથી આંદોલન પર છે.
મહિલાઓ સહિતના ખેડૂતો મોટી સંખ્યામાં આ બેસણામાં જોડાયા
આંદોલનના ત્રીજા દિવસે ખેડૂતોએ અનોખી રીતે 'બેસણું' કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓ સહિતના ખેડૂતો મોટી સંખ્યામાં આ બેસણામાં જોડાયા હતા અને સરકાર સામે પોતાની માગણી રજૂ કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક ખેડૂતોને મુંડન કરાવીને પણ પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. આંદોલનમાં હાલ 3 મહિલા સહિત કુલ 9 ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે. તેમની મુખ્ય માગ છે કે વીજપોલ માટે જમીન ગુમાવનારા ખેડૂતોને યોગ્ય અને ન્યાયસંગત વળતર તાત્કાલિક આપવામાં આવે.













